નીતિવચનો ૧૦:૧-૩૨
૧૦ સુલેમાનનાં નીતિવચનો:*+બુદ્ધિશાળી દીકરો પોતાના પિતાને આનંદ આપે છે,+પણ મૂર્ખ દીકરો પોતાની માતાને દુઃખી કરે છે.
૨ દુષ્ટ કામોથી ભેગો કરેલો ખજાનો કંઈ કામનો નથી,પણ નેક કામો મોતના મોંમાંથી બચાવે છે.+
૩ યહોવા નેક* માણસને કદી ભૂખે મરવા નહિ દે,+પણ તે દુષ્ટની લાલસાને ધૂળમાં મેળવી દેશે.
૪ આળસુ હાથ માણસને ગરીબ બનાવે છે,+પણ મહેનતુ હાથ તેને અમીર બનાવે છે.+
૫ ઉનાળામાં ફસલ ભેગી કરનાર દીકરો સમજુ છે,પણ કાપણીના સમયમાં ઊંઘી રહેનાર દીકરો શરમમાં મુકાય છે.+
૬ નેકના માથે આશીર્વાદ વરસે છે,+પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.
૭ સારા* માણસને યાદ કરીને* આશીર્વાદ આપવામાં આવે છે,+પણ દુષ્ટનું નામ ભૂંસાઈ જાય છે.*+
૮ શાણો માણસ સલાહ* સ્વીકારશે,+પણ મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થશે.+
૯ ઈમાનદારીથી ચાલતો માણસ સલામત રહેશે,+પણ બેઈમાની કરનાર પકડાઈ જશે.+
૧૦ દગો કરવા આંખ મારનાર દુઃખ લાવે છે+અને મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થાય છે.+
૧૧ નેક માણસની વાતો જીવનનો ઝરો છે,+પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.+
૧૨ નફરતથી ઝઘડા ઊભા થાય છે,પણ પ્રેમ બધા અપરાધો ઢાંકી દે છે.+
૧૩ સમજુ માણસના હોઠે બુદ્ધિની વાતો નીકળે છે,+પણ અણસમજુની પીઠ પર સોટી પડે છે.+
૧૪ બુદ્ધિશાળી લોકો જ્ઞાનનો સંગ્રહ કરે છે,+પણ દુષ્ટનું મોં આફત નોતરે છે.+
૧૫ અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે,પણ ગરીબની ગરીબાઈ તેને બરબાદ કરી દે છે.+
૧૬ નેકનાં કામો જીવન તરફ લઈ જાય છે,પણ દુષ્ટનાં કામો પાપ તરફ લઈ જાય છે.+
૧૭ શિસ્ત* સ્વીકારનાર બીજાઓને જીવનના માર્ગે દોરે છે,*પણ ઠપકો ન સ્વીકારનાર બીજાઓને ગેરમાર્ગે દોરે છે.
૧૮ નફરત ભરી રાખનાર જૂઠું બોલે છે+અને બીજાઓની નિંદા કરનાર* મૂર્ખ છે.
૧૯ ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે,+પણ જીભ પર કાબૂ રાખનાર સમજુ છે.+
૨૦ નેકની વાતો ઉત્તમ ચાંદી જેવી છે,+પણ દુષ્ટના વિચારોની* કોઈ કિંમત નથી.
૨૧ નેક માણસની વાતો ઘણાનું પોષણ કરે છે,*+પણ મૂર્ખ માણસ અબુધ હોવાથી માર્યો જાય છે.+
૨૨ યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન* બનાવે છે+અને એની સાથે તે કોઈ દુઃખ* આપતા નથી.
૨૩ મૂર્ખ માટે શરમજનક કામો રમત જેવાં છે,પણ સમજુ માણસ બુદ્ધિ શોધે છે.+
૨૪ દુષ્ટને જેનો ડર હોય છે, એ જ તેના માથે આવી પડશે,પણ નેકની ઇચ્છાઓ પૂરી કરવામાં આવશે.+
૨૫ વાવાઝોડું આવશે ત્યારે દુષ્ટનો સફાયો થઈ જશે,+પણ નેક માણસ મજબૂત પાયાની જેમ કાયમ ટકી રહેશે.+
૨૬ જેમ સરકો* દાંતને અને ધુમાડો આંખને હેરાન કરે છે,તેમ આળસુ માણસ પોતાના માલિકને* હેરાન કરે છે.
૨૭ યહોવાનો ડર આયુષ્ય વધારે છે,+પણ મૂર્ખનાં વર્ષો ઓછાં કરવામાં આવશે.+
૨૮ નેક માણસની આશા* ખુશી લાવે છે,+પણ મૂર્ખની આશા મરી પરવારશે.+
૨૯ સાચા* માણસ માટે યહોવાનો માર્ગ મજબૂત કિલ્લો છે,+પણ દુષ્ટ માટે એ વિનાશ છે.+
૩૦ નેક માણસ કાયમ ટકી રહેશે,*+પણ દુષ્ટ માણસ પૃથ્વી પર કાયમ ટકશે નહિ.+
૩૧ નેક માણસના મુખે બુદ્ધિની વાતો નીકળે છે,પણ કપટી જીભને કાપી નાખવામાં આવશે.
૩૨ નેક માણસના હોઠો ખુશી આપવાનું જાણે છે,પણ દુષ્ટના મોઢે કપટી વાતો નીકળે છે.
ફૂટનોટ
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ અથવા, “માણસની શાખને.”
^ મૂળ, “નામ સડી જાય છે.”
^ મૂળ, “આજ્ઞાઓ.”
^ અથવા કદાચ, “પોતે જીવનના માર્ગ પર છે.”
^ અથવા, “અફવા ફેલાવનાર.”
^ મૂળ, “હૃદયની.”
^ અથવા, “ઘણાને માર્ગદર્શન આપે છે.”
^ અથવા, “સમૃદ્ધ.”
^ અથવા, “વેદના; મુશ્કેલી.”
^ એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.
^ અથવા, “મોકલનારને.”
^ અથવા, “અપેક્ષા.”
^ અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.
^ અથવા, “કદી પડશે નહિ.”