સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઓળખ મજબૂત ઝાડ જેવી છે, જે તોફાનમાં પણ ટકી રહે છે

યુવાનો માટે

૯: સારી ઓળખ બનાવો

૯: સારી ઓળખ બનાવો

એનો શું અર્થ થાય?

ઓળખમાં ફક્ત તમારાં નામ અને દેખાવનો સમાવેશ નથી થતો. એમાં તમારાં સંસ્કાર, માન્યતાઓ અને વ્યક્તિત્વનો પણ સમાવેશ થાય છે. સાચે જ, તમારી ઓળખ તમારા વિશે ઘણું બધું કહી જાય છે, તમે અંદરથી અને બહારથી કેવા છો એ પણ.

એ કેમ મહત્ત્વનું છે?

તમે પોતાની ઓળખને દૃઢતાથી વળગી રહેશો તો, તમે તમારા મિત્રોના દબાણમાં આવી જશો નહિ, પણ તમારી માન્યતાને પાળશો.

‘ઘણા લોકો દુકાનમાં રાખેલા પૂતળાં જેવા હોય છે. તેઓ પોતાની પસંદના નહિ, પણ બીજાઓની પસંદના કપડાં પહેરે છે.’—એડ્રીઅન.

‘જે ખરું છે એને વળગી રહેવાનું હું શીખી છું, પછી ભલે એમ કરવું મારા માટે અઘરું કેમ ન હોય. જે મિત્રો મારાં ધોરણોને માન આપે છે, તેઓની સંગત મને ગમે છે. તેઓ જ મારા સાચા મિત્રો છે!’—કોર્ટની.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “આ દુનિયાની અસર પોતાના પર થવા દેશો નહિ, પણ પોતાના વિચારોમાં ફેરફાર કરો.”—રોમનો ૧૨:૨.

તમે શું કરી શકો

તમે હમણાં કેવી વ્યક્તિ છો અને ભાવિમાં કેવી વ્યક્તિ બનવા માંગો છો એનો વિચાર કરો. એ માટે તમારી સારી બાબતો, નબળાઈઓ અને માન્યતાઓને ચકાસો. એ માટે નીચેના સવાલોનો વિચાર કરો.

સારી બાબતો: મારી પાસે કેવાં આવડત અને હુન્‍નર છે? મારામાં કઈ સારી આદતો છે? (દાખલા તરીકે: શું હું સમયસર હોઉં છું? શું હું સંયમ રાખું છું? શું હું મહેનતુ છું? શું હું ઉદાર છું?) મારામાં કયા સારા ગુણો છે?

સૂચનો: શું પોતાના સારા ગુણો શોધવામાં તમને મુશ્કેલી પડે છે? તમારાં માબાપ કે ખાસ મિત્રને પૂછો કે તેઓને તમારામાં કઈ સારી બાબતો દેખાય છે અને એનું કારણ શું છે?

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “દરેક પોતાનાં કાર્યોની તપાસ કરે અને આમ તેને પોતાના માટે આનંદ કરવાનું કારણ મળશે. તેણે પોતાનાં કાર્યોની સરખામણી બીજાઓ સાથે ન કરવી.”—ગલાતીઓ ૬:૪.

નબળાઈઓ: મારા સ્વભાવમાં ક્યાં સુધારો-વધારો કરવાની જરૂર છે? કયા સમયે હું લાલચોમાં ફસાઈ જાઉં છું? કયા પાસાંમાં હું સંયમ રાખી શકું?

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જો આપણે કહીએ કે, ‘આપણામાં પાપ નથી,’ તો આપણે પોતાને છેતરીએ છીએ.”—૧ યોહાન ૧:૮.

માન્યતા: હું કયા નૈતિક ધોરણો પાળું છું અને શા માટે? શું હું ઈશ્વરમાં માનું છું? તેમના અસ્તિત્વ વિશે મને શાનાથી પાકી ખાતરી મળી છે? કેવાં કાર્યોને હું અયોગ્ય ગણું છું અને શા માટે? ભાવિ વિશે હું શું માનું છું?

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે. બુદ્ધિ તારું રક્ષણ કરશે.”—નીતિવચનો ૨:૧૧.