સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાંથી શીખો

સ્વર્ગદૂતો આપણને કઈ રીતે અસર કરે છે?

સ્વર્ગદૂતો આપણને કઈ રીતે અસર કરે છે?

આ લેખમાં જે સવાલો છે એ તમને પણ થયા હશે, એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. સ્વર્ગદૂતો કોણ છે?

દૂતો સ્વર્ગમાં રહે છે. તેઓનું જીવન માણસો કરતાં ચડિયાતું હોય છે. સાચા ઈશ્વરને આપણે જોઈ શકતા નથી, કેમ કે તે હાડ-માંસના બનેલા નથી; તેમણે ધરતી બનાવી એ પહેલાં, સ્વર્ગદૂતોને બનાવ્યા હતા. (અયૂબ ૩૮:૪, ૭; માથ્થી ૧૮:૧૦) આવા લાખો-કરોડો વફાદાર દૂતોની મધ્યે યહોવા બિરાજે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦, ૨૧; દાનીયેલ ૭:૯, ૧૦ વાંચો.

૨. શું સ્વર્ગદૂતો લોકોને મદદ કરે છે?

સ્વર્ગદૂતોએ લોત નામના એક સારા માણસને મદદ કરી હતી. તે એવા શહેરમાં રહેતો હતો, જેને ઈશ્વરે નાશ કરવાનું નક્કી કર્યું હતું, કેમ કે એમાં રહેતા લોકો ઘણા ખરાબ હતા. બે સ્વર્ગદૂતોએ લોત અને તેના કુટુંબને નાસી છૂટવા ચેતવણી આપી. અમુક લોકોએ આ ચેતવણીને મજાક ગણી અને એ સાંભળી નહિ. પણ લોત અને તેની દીકરીઓ બચી ગયા, કેમ કે ઈશ્વરે જે ચેતવણી સ્વર્ગદૂતો દ્વારા આપી હતી, એ તેઓએ સાંભળી.—ઉત્પત્તિ ૧૯:૧, ૧૩-૧૭, ૨૬ વાંચો.

બાઇબલ બતાવે છે કે આજે સ્વર્ગદૂતો લોકોને મદદ કરી રહ્યા છે. તેઓ વિશ્વાસુપણે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવનારાને માર્ગદર્શન આપી રહ્યા છે. (માથ્થી ૨૪:૧૪) આ ખુશખબરમાં એક ચેતવણી પણ છે. લોતને આપવામાં આવેલી ચેતવણીની જેમ જ, આ ચેતવણી પણ મજાક નથી. એ તો સ્વર્ગદૂતો દ્વારા ઈશ્વરે આપેલી છે.—પ્રકટીકરણ ૧:૧; ૧૪:૬, ૭ વાંચો.

આપણે તકલીફોમાં હોઈએ ત્યારે, મદદ કરવા ઈશ્વર સ્વર્ગદૂતોનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઈસુને શક્તિ આપવા સ્વર્ગદૂતને મોકલ્યો હતો.લુક ૨૨:૪૧-૪૩ વાંચો.

દુઃખો લાવતા દુષ્ટ લોકોનો ઈશ્વર બહુ જલદી જ દૂતો દ્વારા નાશ કરશે. એનાથી લોકોને કેટલી રાહત મળશે!૨ થેસ્સાલોનીકી ૧:૬-૮ વાંચો.

૩. ખરાબ દૂતો આપણને કેવી રીતે અસર કરે છે?

જેમ ઘણા લોકો ઈશ્વરની આજ્ઞા તોડીને તેમની વિરુદ્ધ ગયા છે, તેમ સ્વર્ગમાં ઘણા દૂતો ઈશ્વરની વિરુદ્ધ થયા છે. (૨ પીતર ૨:૪) ઈશ્વરની વિરુદ્ધ થયેલા આ દૂતોને દુષ્ટ દૂતો કહેવાય છે. તેઓનો ઉપરી છે, શેતાન. શેતાન અને તેના સાથી દૂતો લોકોને ભમાવી રહ્યા છે.—પ્રકટીકરણ ૧૨:૯ વાંચો.

શેતાને લોકોને ભમાવવા અને ઈશ્વરથી દૂર લઈ જવા ભ્રષ્ટ વેપારધંધા, માનવ સરકારો અને જૂઠા ધર્મોનો ઉપયોગ કર્યો છે. આમ, લોકો પર થતા અન્યાયો, મારપીટ અને તકલીફો માટે શેતાન જવાબદાર છે.—૧ યોહાન ૫:૧૯ વાંચો.

૪. દુષ્ટ દૂતો લોકોને કેવી રીતે ભમાવે છે?

આત્મા જેવું કંઈક છે અને મરેલા લોકો આત્મા બની વાતચીત કરે છે, એવા જૂઠાણાથી શેતાને ઘણા લોકોને છેતર્યા છે. જ્યારે કે બાઇબલ કહે છે કે મરેલા કંઈ જ કરી શકતા નથી. (સભાશિક્ષક ૯:૫) પણ દુષ્ટ દૂતો મરેલા સગાં-વહાલા અવાજમાં વાત કરી, લોકોને ઘણી વાર છેતરે છે. (યશાયા ૮:૧૯) દુષ્ટ દૂતો ભૂત-પ્રેત, જાદુક્રિયા, ભવિષ્ય ભાખવું અને જ્યોતિષ વિદ્યા વગેરે બાબતોથી લોકોને ભમાવે છે. ઈશ્વરનો શબ્દ, બાઇબલ આ બધી બાબતોથી દૂર રહેવા ચેતવે છે. તેથી, દુષ્ટ દૂતો કે મેલી વિદ્યાને લગતું કંઈ જો આપણી પાસે હોય, તો એને ફેંકી દેવું જોઈએ.—પુનર્નિયમ ૧૮:૧૦, ૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯ વાંચો.

જો આપણે યહોવાને ચાહતા હોઈએ, તો દુષ્ટ દૂતોથી ડરીને જીવવાની જરૂર નથી. આપણે જ્યારે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ અને એને પાળીએ છીએ, ત્યારે આપણે શેતાનની સામા થઈએ છીએ અને ઈશ્વરની નજીક જઈએ છીએ. દુષ્ટ દૂતો કરતાં યહોવા ઘણા શક્તિમાન છે. આપણને મદદની જરૂર હોય ત્યારે, તેમના વફાદાર દૂતો સાથ આપે છે.ગીતશાસ્ત્ર ૩૪:૭; યાકૂબ ૪:૭, ૮ વાંચો. (w12-E 07/01)

વધારે માહિતી માટે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું દસમું પ્રકરણ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.