સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાની સત્તાને ટેકો આપો!

યહોવાની સત્તાને ટેકો આપો!

“હે યહોવા અમારા ઈશ્વર, મહિમા, માન અને અધિકાર મેળવવાને તમે જ યોગ્ય છો, કેમ કે તમે બધી વસ્તુઓ ઉત્પન્ન કરી અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવી અને ઉત્પન્ન થઈ.”—પ્રકટી. ૪:૧૧.

ગીતો: ૨, ૪૯

૧, ૨. આપણે દરેકે શેની ખાતરી કરવી જરૂરી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

અગાઉના લેખમાં જોઈ ગયા તેમ, શેતાન દાવો કરે છે કે માણસજાત પર રાજ કરવાનો યહોવાને હક નથી. શેતાન કહે છે કે, યહોવા અયોગ્ય રીતે રાજ કરે છે અને જો માણસો પોતે રાજ કરે, તો તેઓ વધારે સુખી થશે. શું શેતાન સાચો છે? માની લો કે માણસો પોતે રાજ કરે છે અને હંમેશ માટે જીવી શકે છે. શું લોકો એવા રાજમાં સુખી હશે કે ઈશ્વરના રાજમાં? જો તમે ઈશ્વરના આધાર વગર હંમેશ માટે જીવી શકતા હો, તો શું તમે ખરેખર સુખી હશો?

બીજું કોઈ તમારા માટે આ સવાલોના જવાબ ન આપી શકે. આપણે દરેકે એ વિશે ધ્યાનથી વિચારવાની જરૂર છે. પછી, એ સ્પષ્ટ થશે કે, યહોવાનું રાજ સૌથી ઉત્તમ છે અને આપણે તેમને પૂરેપૂરો ટેકો આપવો જોઈએ. યહોવા એકલા જ આખા વિશ્વના માલિક છે અને તેમની રાજ કરવાની રીત સૌથી ઉત્તમ છે. ચાલો, એ વિશેના ઠોસ કારણો બાઇબલમાંથી તપાસીએ.

યહોવા પાસે રાજ કરવાનો હક છે

૩. શા માટે યહોવાને જ વિશ્વ પર રાજ કરવાનો હક છે?

આખા વિશ્વના એક જ માલિક છે, યહોવા. કારણ કે તે સર્વશક્તિમાન અને સર્જનહાર છે. (૧ કાળ. ૨૯:૧૧; પ્રે.કા. ૪:૨૪) સ્વર્ગ વિશેના દર્શનમાં એક ઈશ્વરભક્તે ખ્રિસ્તના ૧,૪૪,૦૦૦ સાથી રાજાઓને જોયા. તેઓ કહેતા હતા, “હે યહોવા અમારા ઈશ્વર, મહિમા, માન અને અધિકાર મેળવવાને તમે જ યોગ્ય છો, કેમ કે તમે બધી વસ્તુઓ ઉત્પન્ન કરી અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવી અને ઉત્પન્ન થઈ.” (પ્રકટી. ૪:૧૧) યહોવાએ બધું સર્જન કર્યું છે, એટલે પૃથ્વી હોય કે સ્વર્ગ, દરેક પર રાજ કરવાનો હક તેમનો જ છે.

૪. પસંદગી કરવાની ભેટ કેમ આપણને ઈશ્વર સામે બંડ પોકારવાનો હક નથી આપતી?

શેતાને કંઈ સર્જન કર્યું નથી. એટલે, વિશ્વ પર રાજ કરવાનો તેની પાસે કોઈ હક નથી. શેતાન અને પ્રથમ માનવ યુગલે આજ્ઞા તોડીને યહોવાની સત્તા સામે બંડ પોકાર્યું. (યિર્મે. ૧૦:૨૩) તેઓ જાતે પસંદગી કરી શકતાં હતાં. પણ, શું એનો એવો અર્થ થાય કે તેઓને યહોવાના રાજને નકારવાનો હક મળી ગયો હતો? ના. પસંદગી કરવાની છૂટ તેઓને સારા નિર્ણયો લેવા મદદ કરતી હતી. પણ, એનાથી તેઓને સર્જનહાર યહોવા સામે બંડ પોકારવાનો હક મળી જતો ન હતો. ઈશ્વર વિરુદ્ધ બંડ કરીને તેઓએ પસંદગી કરવાની ભેટનો દુરુપયોગ કર્યો હતો. એમાં કોઈ શંકા નથી કે માણસોને યહોવાના રાજ અને માર્ગદર્શનની જરૂર છે.

૫. ઈશ્વરના નિર્ણયો કેમ હંમેશાં ખરા હોય છે?

યહોવાને જ રાજ કરવાનો હક છે, એનું બીજું એક કારણ જોઈએ. તે પોતાના અધિકારનો એકદમ ન્યાયી રીતે ઉપયોગ કરે છે. તેમણે કહ્યું: “હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ કરનાર યહોવા છું; કેમ કે એઓમાં મારો આનંદ છે, એમ યહોવા કહે છે.” (યિર્મે. ૯:૨૪) ખરું શું છે, એ નક્કી કરવા માટે યહોવાને માણસોના નિયમોની જરૂર નથી. એનું ધોરણ ખુદ યહોવા નક્કી કરે છે. તે હંમેશાં અદ્દલ ન્યાય કરે છે, જેના આધારે તે માણસોને નિયમો આપે છે. એક ઈશ્વરભક્તે કહ્યું, “ન્યાયીપણું તથા ઇન્સાફ તારા રાજ્યાસનનો પાયો છે.” (ગીત. ૮૯:૧૪; ૧૧૯:૧૨૮) એટલે કે, યહોવા તરફથી મળતો દરેક નિયમ, સિદ્ધાંત કે નિર્ણય ખરો છે. શેતાન દાવો તો કરે છે કે યહોવા ન્યાયી શાસક નથી. પણ, શું શેતાન પોતે દુનિયામાં ન્યાય લાવી શકે છે?

૬. વિશ્વ પર રાજ કરવાનો હક ફક્ત યહોવાને છે, એનું બીજું એક કારણ શું છે?

યહોવા જ રાજ કરવાના હકદાર છે, એનું હજી એક કારણ છે. તેમની પાસે વિશ્વની સાર-સંભાળ રાખવા માટે જરૂરી જ્ઞાન અને ડહાપણ છે. યાદ કરો, તેમણે પોતાના દીકરા ઈસુને અદ્ભુત શક્તિ આપી હતી. ઈસુએ એવી બીમારીઓ દૂર કરી, જે કોઈ પણ ડૉક્ટર દૂર ન કરી શકે. (માથ. ૪:૨૩, ૨૪; માર્ક ૫:૨૫-૨૯) આપણા માટે એ બધા ચમત્કારો છે, પણ યહોવા માટે એ કંઈ ચમત્કારો નથી. તે સારી રીતે જાણે છે કે માણસોના શરીરનું બંધારણ કેવું છે અને એને કેવી રીતે સાજું કરવું. અરે, તે મરણ પામેલાઓને જીવતા કરી શકે છે. તે કુદરતી આફતોને અટકાવી શકે છે.

૭. કઈ રીતે કહી શકાય કે શેતાનની દુનિયા કરતાં યહોવા પાસે વધુ ડહાપણ છે?

ખરી શાંતિ લાવવી એ શેતાનની દુનિયા માટે ગજા બહારની વાત છે, પછી ભલે એ એક દેશની વાત હોય કે દેશો વચ્ચેની. આખી દુનિયામાં શાંતિ લાવવા માટે જરૂરી ડહાપણ ફક્ત યહોવા પાસે છે. (યશા. ૨:૩, ૪; ૫૪:૧૩) આપણે પણ પ્રેરિત પાઊલ જેવું અનુભવીએ છીએ: “વાહ! ઈશ્વરના આશીર્વાદ અને બુદ્ધિ અને જ્ઞાનનો કોઈ પાર નથી! તેમના ન્યાયચુકાદા કોણ જાણી શકે? અને તેમના માર્ગો કોણ સમજી શકે?”—રોમ. ૧૧:૩૩.

યહોવાનું રાજ સૌથી ઉત્તમ

૮. યહોવાની રાજ કરવાની રીત વિશે તમને કેવું લાગે છે?

આપણે જોયું તેમ, બાઇબલ સ્પષ્ટ કરે છે કે વિશ્વ પર રાજ કરવાનો હક ફક્ત યહોવા પાસે છે. બાઇબલ એ પણ જણાવે છે કે તે કેમ સૌથી ઉત્તમ શાસક છે. એનું એક કારણ છે, તે પ્રેમથી પ્રેરાઈને રાજ કરે છે. તે ‘દયાળુ, કૃપાળુ, જલદી ગુસ્સે ન થનાર, અને અપાર કૃપા તથા સત્યથી ભરપૂર’ છે. તેમના એવા ગુણો પર મનન કરીને આપણે તેમની સાથેનો સંબંધ મજબૂત કરીએ છીએ. (નિર્ગ. ૩૪:૬) ઈશ્વર આપણી સાથે માન અને આદરથી વર્તે છે. આપણે પોતાની કાળજી રાખીએ, એનાથી અનેક ગણી વધારે તે આપણી કાળજી રાખે છે. શેતાનનું કહેવું છે કે યહોવા પોતાના ભક્તોથી સારી બાબતો દૂર રાખે છે. એ તો હડહડતું જૂઠાણું છે. અરે, ઈશ્વરે તો પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી આપણને હંમેશ માટેનું જીવન મળે.—ગીતશાસ્ત્ર ૮૪:૧૧; રોમનો ૮:૩૨ વાંચો.

૯. શાના પરથી આપણે કહી શકીએ કે યહોવા આપણા દરેકની કાળજી લે છે?

યહોવા બધા લોકોને પ્રેમ કરે છે, તે દરેક વ્યક્તિમાં ઊંડો રસ લે છે. પ્રાચીન સમયમાં શું થયું એનો વિચાર કરો. આશરે ત્રણસો વર્ષ સુધી યહોવાએ ન્યાયાધીશો દ્વારા પોતાની પ્રજાને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તેઓને દુશ્મનો પર જીત અપાવી હતી. એ દરમિયાન યહોવાએ પોતાના એકેએક ભક્ત પર ધ્યાન આપ્યું. એમાંના એક ભક્ત રૂથ હતાં. તે ઇઝરાયેલી ન હતાં પણ, યહોવાના ભક્ત બનવા તેમણે ઘણો ત્યાગ આપ્યો હતો. યહોવાએ તેમને સારા પતિ અને દીકરાનો આશીર્વાદ આપ્યો હતો. એટલું જ નહિ, રૂથના દીકરાને મસીહ સુધી લઈ જતી વંશાવળીનો ભાગ બનવાનો મોકો મળ્યો. યહોવાએ રૂથની જીવન કહાની બાઇબલમાં લખાવી દીધી છે. એ પુસ્તક રૂથના નામથી ઓળખાય છે. તમને શું લાગે છે, રૂથ સજીવન થશે ત્યારે, તેને આ બધું જાણીને કેવું લાગશે?—રૂથ ૪:૧૩; માથ. ૧:૫, ૧૬.

૧૦. આપણે શા માટે કહી શકીએ કે યહોવા ક્રૂર રીતે રાજ કરતા નથી?

૧૦ યહોવા ક્રૂર રીતે રાજ કરતા નથી. એના બદલે, જેઓ તેમની આજ્ઞા પાળે છે, તેઓ આઝાદી અનુભવે છે અને ખુશ છે. (૨ કોરીં. ૩:૧૭) દાઊદે યહોવા વિશે કહ્યું: “તેની સંમુખ ગૌરવ તથા મહિમા છે; તેના મંદિરમાં સામર્થ્ય તથા આનંદ છે.” (૧ કાળ. ૧૬:૭, ૨૭) ઈશ્વરભક્ત એથાને લખ્યું: “આનંદદાયક નાદને જાણનાર લોકને ધન્ય છે; હે યહોવા, તેઓ તારા મુખના અજવાળામાં ચાલે છે. તેઓ આખો દહાડો તારે નામે હરખ કરે છે; અને તારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.”—ગીત. ૮૯:૧૫, ૧૬.

૧૧. આપણે કઈ રીતે પાકી ખાતરી કરી શકીએ કે, ફક્ત યહોવાનું રાજ સૌથી સારું છે?

૧૧ યહોવાના ભલાઈના ગુણ પર વધારે મનન કરવાથી, આપણને ખાતરી થશે કે તેમનું રાજ સૌથી સારું છે. આપણે એ ઈશ્વરભક્ત જેવું અનુભવીશું, જેમણે યહોવાને કહ્યું હતું: “હજાર દિવસ કરતાં તારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે.” (ગીત. ૮૪:૧૦) યહોવાએ આપણું સર્જન કર્યું છે, એટલે તે સારી રીતે જાણે છે કે આપણે કઈ બાબતોથી ખુશ થઈએ છીએ. આપણી જરૂરિયાતો કરતાં તે અનેક ગણું વધારે આપણને આપે છે. યહોવાનું કહ્યું કરવાથી આપણને જ ફાયદો થવાનો છે. ભલે અમુક બાબતોનો ત્યાગ કરવો પડે, પણ યહોવાની આજ્ઞા માનીશું તો હંમેશાં ખુશ રહીશું.યશાયા ૪૮:૧૭ વાંચો.

૧૨. યહોવાની સત્તાને ટેકો આપવાનું મુખ્ય કારણ શું છે?

૧૨ બાઇબલ જણાવે છે કે ખ્રિસ્તના હજાર વર્ષના રાજ પછી, કેટલાક લોકો યહોવાની સત્તા સામે બંડ પોકારશે. (પ્રકટી. ૨૦:૭, ૮) તેઓ કેમ એવું કરશે? એ સમયે, શેતાન લોકોને કદાચ એવું સમજાવવાનો પ્રયત્ન કરશે કે, હંમેશ માટે જીવવા ઈશ્વરને આધીન રહેવાની જરૂર નથી. પણ, એ હકીકત નથી. આપણે પોતાને સવાલ પૂછવો જોઈએ કે, “શું હું એવાં જૂઠાણાંને માની લઈશ?” જો આપણે ખરેખર યહોવાને પ્રેમ કરતા હોઈશું, તો એવાં જૂઠાણાંથી છેતરાઈશું નહિ. આપણે તો ફક્ત યહોવાના રાજમાં રહેવા ચાહીશું, જે પ્રેમથી રાજ કરે છે.

યહોવાની સત્તાને ટેકો આપો

૧૩. આપણે કઈ રીતે યહોવાની સત્તાને ટેકો આપી શકીએ?

૧૩ આપણે જોઈ ગયા તેમ, યહોવાને રાજ કરવાનો હક છે અને તેમની રાજ કરવાની રીત સૌથી ઉત્તમ છે. આપણે તેમની સત્તાને ટેકો આપવો જ જોઈએ. યહોવાને વળગી રહીને અને વફાદારીથી તેમની સેવા કરીને આપણે તેમની સત્તાને ટેકો આપી શકીએ. આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલવા મહેનત કરીએ છીએ ત્યારે, તેમને પ્રેમ બતાવીએ છીએ અને તેમની સત્તાને માન આપીએ છીએ.—એફેસીઓ ૫:૧, ૨ વાંચો.

૧૪. વડીલો અને કુટુંબના શિર કઈ રીતે યહોવાને અનુસરી શકે?

૧૪ બાઇબલમાંથી શીખવા મળે છે કે, યહોવા પ્રેમાળ રીતે પોતાનો અધિકાર વાપરે છે. યહોવાની સત્તાને ટેકો આપતા વડીલો અને કુટુંબના શિર ચોક્કસ યહોવાનું અનુકરણ કરશે. તેઓ ક્યારેય કઠોર રીતે પોતાના અધિકારનો ઉપયોગ નહિ કરે અથવા બીજા પર પોતાની સત્તા નહિ ચલાવે. પ્રેરિત પાઊલે યહોવા અને ઈસુના દાખલાને અનુસરવા ઘણી મહેનત કરી. (૧ કોરીં. ૧૧:૧) તેમણે બીજાઓને શરમમાં ન નાખ્યા અને ખરું છે એ કરવા બીજાઓ પર દબાણ ન કર્યું. એના બદલે, તેમણે લોકોને પ્રેમાળ રીતે ઉત્તેજન આપ્યું. (રોમ. ૧૨:૧; એફે. ૪:૧; ફિલે. ૮-૧૦) આમ, પાઊલે યહોવાનું અનુકરણ કર્યું. આપણે બીજાઓ સાથે પ્રેમાળ રીતે વર્તીને યહોવાની સત્તાને ટેકો આપી શકીએ.

૧૫. જેઓ પાસે અધિકાર છે તેઓને માન આપીને આપણે કઈ રીતે યહોવાની સત્તાને આધીન રહીએ છીએ?

૧૫ યહોવાની સત્તાને ટેકો આપવા આપણે એ દરેકને સહકાર આપીશું, જેઓને યહોવા તરફથી અધિકાર મળ્યો છે. ભલે આપણને કોઈક નિર્ણય સમજાય નહિ અથવા આપણે એની સાથે સહમત ન હોઈએ, છતાં યહોવાને આધીન રહીશું. દુનિયાના લોકો ક્યારેય આ રીતે નહિ વર્તે. પણ આપણે યહોવાને આપણા રાજા માનીએ છીએ, એટલે તેમની રાજ કરવાની રીતને માન આપીએ છીએ. (એફે. ૫:૨૨, ૨૩; ૬:૧-૩; હિબ્રૂ. ૧૩:૧૭) અને યહોવા આપણું ભલું જ ચાહે છે. એટલે, તેમની સત્તાને માન આપીશું તો, આપણું જ ભલું થશે.

૧૬. આપણે કઈ રીતે પોતાના નિર્ણયો દ્વારા યહોવાની સત્તાને ટેકો આપી શકીએ?

૧૬ આપણે પોતાના નિર્ણયો દ્વારા પણ બતાવી શકીએ કે આપણે યહોવાને રાજા માનીએ છીએ. જીવનના દરેક સંજોગ માટે યહોવાએ આપણને નિયમો આપ્યા નથી. એના બદલે, તેમણે પોતાના વિચારો આપણને જણાવ્યા છે. એનાથી આપણે જાણી શકીએ કે આપણે શું કરવું જોઈએ. દાખલા તરીકે, કેવાં કપડાં પહેરવાં ને કેવાં નહિ, એ વિશે તેમણે કોઈ લાંબી યાદી નથી આપી. તેમણે તો બસ જણાવ્યું છે કે, તેમના સેવકોનો દેખાવ મર્યાદાશીલ અને વિનયી હોવો જોઈએ. (૧ તિમો. ૨:૯, ૧૦) તે ચાહે છે કે, આપણા નિર્ણયોની બીજાઓ પર કેવી અસર થશે એનું ધ્યાન રાખીએ. (૧ કોરીં. ૧૦:૩૧-૩૩) આપણે યહોવાના ધોરણો પ્રમાણે નિર્ણય લઈને બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમની રાજ કરવાની રીતને ટેકો આપીએ છીએ.

કુટુંબ તરીકે યહોવાના રાજ કરવાના હકને ટેકો આપો (ફકરા ૧૬-૧૮ જુઓ)

૧૭, ૧૮. યુગલો કઈ રીતે યહોવાની સત્તાને ટેકો આપી શકે?

૧૭ યુગલો કઈ રીતે યહોવાની સત્તાને ટેકો આપી શકે? લગ્ન પહેલાં તેઓએ સુખી જીવનનાં સપનાં જોયા હશે, પણ હકીકત સાવ અલગ હોય. કદાચ તેઓ લગ્નમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરતા હોય. જો એમ હોય, તો તેઓ યહોવાનું અનુકરણ કરી શકે. પ્રાચીન ઇઝરાયેલ સાથે તે જે રીતે વર્ત્યા, એમાંથી શીખી શકે. યહોવાએ જણાવ્યું હતું કે, તે પોતાની પ્રજા માટે પતિ સમાન છે. (યશા. ૫૪:૫; ૬૨:૪) એ પ્રજા ઘણી વાર બેવફા બની હતી. તેઓનો સંબંધ એવા લગ્ન જેવો હતો, જે તૂટવાની અણી પર હોય. પણ, યહોવાએ ઇઝરાયેલીઓને ત્યજી દેવામાં ઉતાવળ ન કરી. એના બદલે, તેમણે તેઓને વારંવાર માફ કર્યા અને પોતે આપેલું વચન નિભાવ્યું.ગીતશાસ્ત્ર ૧૦૬:૪૩-૪૫ વાંચો.

૧૮ યહોવાને પ્રેમ કરનાર યુગલો તેમને અનુસરવાનો પ્રયત્ન કરે છે. ભલે લગ્નજીવનમાં મુશ્કેલીઓ હોય, તોપણ તેઓ કોઈ છટકબારી શોધતા નથી. તેઓ શાસ્ત્રને વળગી રહે છે. તેઓ જાણે છે કે લગ્ન સમયે આપેલું વચન યહોવા માટે મહત્ત્વનું છે. અને યહોવા ચાહે છે કે પતિ-પત્ની એકબીજાને “વળગી” રહે. શાસ્ત્ર પ્રમાણે ફક્ત જાતીય અનૈતિકતા એક માત્ર કારણ છે, જે ઈશ્વરભક્તોને છૂટાછેડા લેવાની અને ફરીથી લગ્ન કરવાની છૂટ આપે છે. (માથ. ૧૯:૫, ૬,) પોતાનું લગ્ન જીવન ટકાવી રાખવા, ઈશ્વરભક્તો જ્યારે બનતા બધા પ્રયાસ કરે છે, ત્યારે તેઓ યહોવાની સત્તાને ટેકો આપે છે.

૧૯. આપણાથી ભૂલ થઈ જાય ત્યારે શું કરવું જોઈએ?

૧૯ આપણે બધા ભૂલો કરીએ છીએ અને ઘણી વાર યહોવાને નિરાશ કરનારા કામો કરીએ છીએ. તે આ વાત સારી રીતે જાણે છે, એટલે જ તેમણે આપણા માટે ખ્રિસ્તના બલિદાનની ગોઠવણ કરી છે. આપણાથી ભૂલ થઈ જાય ત્યારે આપણે યહોવાની માફી માંગવી જોઈએ. (૧ યોહા. ૨:૧, ૨) ભૂલોને લીધે નિરાશામાં ડૂબી જવાને બદલે, એમાંથી શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે યહોવા સાથે ગાઢ સંબંધ જાળવી રાખવો જોઈએ. કેમ કે, તે આપણને માફ કરવા તૈયાર રહે છે અને ઉત્તેજન આપીને તેમની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરે છે.—ગીત. ૧૦૩:૩.

૨૦. આપણે શા માટે આજે પણ યહોવાની સત્તાને ટેકો આપવો જોઈએ?

૨૦ નવી દુનિયામાં યહોવા દરેક પર રાજ કરશે અને આપણે તેમના ન્યાયી ધોરણો વિશે શીખીશું. (યશા. ૧૧:૯) જોકે, આજે આપણે તેમના વિચારોમાંથી શીખી શકીએ અને તે આપણી પાસે શું આશા રાખે છે, એ સમજી શકીએ. જલદી જ એવો સમય આવશે, જ્યારે કોઈ પણ વ્યક્તિ યહોવાની સત્તા સામે આંગળી ચીંધશે નહિ. તેથી, ચાલો યહોવાની સત્તાને ટેકો આપવા આધીન રહીએ, વફાદારીથી સેવા કરીએ અને તેમને અનુસરવા બનતો પ્રયત્ન કરીએ.