ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ
“આપણે ધાર્યું હતું એના કરતાં પૃથ્વી વધારે મજબૂત છે.”
એ વાત સંશોધકોએ કહી જેઓ વાતાવરણમાં થતાં મોટા ફેરફાર પર સંશોધન કરી રહ્યા હતા. જો તમે માનતા હો કે સર્જનહાર મનુષ્યોની કાળજી રાખે છે, તો સંશોધકોની એ વાતથી તમારા મનમાં કદાચ ઈશ્વરે કુદરતમાં રચેલી સુંદર પ્રક્રિયાઓ યાદ આવે. એ પ્રક્રિયાઓને લીધે આપણા ગ્રહ પૃથ્વીને પહોંચેલું નુકસાન આપમેળે સરખું થઈ શકે છે.
તોપણ મનુષ્યોએ એટલી હદે પૃથ્વીને નુકસાન પહોંચાડ્યું છે કે એ પૂરી રીતે આપમેળે સરખી થઈ શકતી નથી. આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ઈશ્વર પૃથ્વીની હાલત સુધારવા પગલાં ભરશે?
બૉક્સમાં આપેલી કલમો પર ધ્યાન આપો જે ખાતરી અપાવે છે કે પૃથ્વી હંમેશ માટે રહેશે અને વધારે સુંદર બનશે.
આપણી પૃથ્વી ઈશ્વરે બનાવી છે. “શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.”—ઉત્પત્તિ ૧:૧
પૃથ્વીના માલિક ઈશ્વર છે. “પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું a છે.”—ગીતશાસ્ત્ર ૨૪:૧
ઈશ્વરે પૃથ્વીને એ રીતે બનાવી છે કે એ હંમેશાં ટકી રહે. “તમે પૃથ્વીને એના પાયાઓ પર અડગ રાખી છે. પૃથ્વીને એની જગ્યાએથી સદાને માટે ખસેડી શકાશે નહિ.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૫
ઈશ્વરે વચન આપ્યું છે કે પૃથ્વી પર જીવન હંમેશાં ટકી રહેશે. ‘સાચા ઈશ્વરે પૃથ્વીને ઘડી. તેમણે એને કંઈ એમ જ બનાવી નથી, પણ વસ્તીને માટે બનાવી છે.’—યશાયા ૪૫:૧૮
ઈશ્વરે વચન આપ્યું છે કે પૃથ્વી પર માણસો હંમેશ માટે જીવશે. “સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯
ઈશ્વરે પૃથ્વીને એ રીતે બનાવી છે કે માણસો એને નુકસાન પહોંચાડ્યા વગર એમાં આરામથી જીવી શકે છે. શાસ્ત્રમાં પહેલેથી જણાવ્યું છે કે યહોવા ઈશ્વર પોતાના નક્કી કરેલા સમયે એ બધી બાબતોનો નાશ કરી દેશે, જે આપણા ગ્રહને નુકસાન પહોંચાડે છે.—પ્રકટીકરણ ૧૧:૧૮
શાસ્ત્રમાં વચન આપ્યું છે કે ઈશ્વર પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવી દેશે અને પોતાનો હાથ ખોલીને ‘બધાની ઇચ્છા પૂરી કરશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬
a પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.